આણંદના વિદ્યાનગર એલીકોન ગાર્ડનમાં મંગળવારે રાત્રે વૃક્ષ ધરાસાયી થતાં ચાર બાળકો દબાઇ ગયા હતા. ઘટના બાદ પાલિકા હરકતમાં આવી બુધવારે 12થી વધુ જોખમી વૃક્ષોને કાપી દૂર કર્યા હતા. તેમજ શૈક્ષણિક સંકુલની ફરતેના જોખમી વૃક્ષો ઉતારી લેવામાં લેખિતમાં સુચના આપી હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું.
મંગળવારે સાંજના સુમારે એલીકોન ગાર્ડનમાં વર્ષો જૂનો વડ ધરાશાયી થતાં વિદ્યાનગર પાલિકાના ચીફ ઓફિસરે જોખમી વૃક્ષો હટાવી લેવા આદેશ કર્યો છે. જેના ભાગરૂપે વિદ્યાનગર M.S. મિસ્ત્રી સ્કૂલ પાસે 5 વૃક્ષો, ઇસ્કોન મંદિર રોડ થી પોલિટેકનિક કોલેજ સુધીના 7 વૃક્ષો દૂર કરવામાં આવ્યાં હતા. તેમજ એલીકોન ગાર્ડન પાસે 3 જેટલા નમી ગયેલા વૃક્ષોની ડાળખીઓ દૂર કરી દેવામાં આવી હતી.
આ અંગે વિદ્યાનગર પાલિકાના ચીફ ઓફિસર રાજેશકુમરા જોષીએ જણાવ્યું હતું કે વિદ્યાનગરમાં ઠેર ઠેર નમી ગયેલા કે જોખમી હાલતમાં ફેરવાઇ ગયેલા અને સુકાયેલા તમામ વૃક્ષો દૂર કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી, CVM સહિત PWD વિભાગ અને જુદા જુદા વિભાગોને જોખમી વૃક્ષો દૂર કરવા લેખિતમાં આદેશ કર્યો છે. જોકે વૃક્ષ ધરાસાયી થાય ને કોઇને ઇજા કે નુકશાન થાય તો સંપૂર્ણ જવાબદારી જે તે સંસ્થાની રહેશે તેમ જણાવ્યું હતું.