વિદ્યાનગર જીઆઈડીસીમાં જ રહેતા વિજયકુમાર નટવરલાલ શિંગાળાનો જીઆઈડીસીમાં પ્લોટ નં.1 બી-1, 16 આવેલો છે. આ પ્લોટની એક રૂમ 2007માં ગણપત શિવરામ કાયત્રાને ભાડે આપ્યો હતો અને મહિને રૂ.આઠ હજાર ભાડુ નક્કી કર્યું હતું. જોકે, ગણપત પર વિશ્વાસ વધતાં વિજયકુમારે વધુ કેટલીક જગ્યા તબક્કા વાર ભાડે આપી હતી. થોડા સમય સુધી નિયમિત ભાડુ આપ્યા બાદ ગણપતે ભાડુ આપવાનું બંધ કર્યું હતું. તેમાંય 3જી સપ્ટેમ્બર,11ના રોજ કાયમી હકનો દિવાની દાવો પણ માંડી દીધો હતો. આથી, વિજયકુમારે તાત્કાલિક જગ્યા ખાલી કરવા ગણપતને જણાવ્યું હતું. પરંતુ તે ખાલી કરતો નહતો. આ ઉપરાંત નવદુર્ગા એન્જિનીયરીંગ એન્ડ ફેબ્રિકેટ્સના માલીક ગણપત શિવરામ કાયદ્રાએ કાયમી તાકીદ તથા હક્ક સ્થાપન તથા મનાઇ હુકમ મેળવવા રેગ્યુલર દિવાની દાવો કર્યો હતો. જે 1લી ડિસેમ્બર,22ના રોજ નામંજુર થયો હતો.
તસવીર પ્રતિકાત્મક છે
આથી, વિજયકુમારે આ અંગે ડિસ્ટ્રીક્ટ લેન્ડ ગ્રેબીંગ કમિટિમાં નવદુર્ગા એન્જિનીયરીંગ એન્ડ ફેબ્રિકેટ્સના માલીક ગણપત શિવરામ કાયદ્રા સામે ફરિયાદ આપી હતી. જેમાં ગણપતે ફેક્ટરી દબાવી દીધી હોવાનું જણાવ્યું હતું. આ અંગે જરૂરી કાર્યવાહી બાદ લેન્ડ ગ્રેબીંડ સાબિત થતાં પોલીસ કાર્યવાહી માટે આદેશ કર્યો હતો. આ અંગે વિજયકુમાર શિંગાળાએ વિદ્યાનગર પોલીસ મથકે ગણપત શિવરામ કાયદ્રા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.