ઓડિશાના બાલાસોરમાં થયેલ ભયાનક ટ્રેન અકસ્માત મુદ્દે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ ભાવુક થયેલા જોવા મળ્યા. રેલવે મંત્રી પ્રભાવિત ટ્રેકના રિસ્ટોરેશન અંગે મીડિયાને જાણકારી આપી રહ્યા હતા. તે દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા. ત્યારે ભાવુક થઈને જણાવ્યું કે બાલાસોર રેલવે અકસ્માત સાઈટ પર રેલવે ટ્રેકના રિસ્ટોરેશનું કામ પૂરું કરી લેવાયું છે. હવે બંને બાજુથી રેલવે ટ્રાફિક માટે રસ્તો ક્લિયર થઈ ગયો છે. એક બાજુથી દિવસમાં કામ પૂરું કરી લેવાયું હતું અને હવે બીજી સાઈટનું કામ પણ પૂરું થઈ ગયું છે. ત્યારબાદ તેમણે ટ્રેન અકસ્માતમાં ગૂમ થયેલા લોકોનો ઉલ્લેખ કર્યો. રેલવે મંત્રીએ કહ્યું કે ટ્રેક પર રસ્તો ક્લિયર થઈ ગયો છે. પરંતુ હજુ અમારી જવાબદારી પૂરી થઈ નથી.
રેલવેમંત્રીએ વધુમાં કહ્યું કે અમારું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે ગૂમ થયેલા લોકોના પરિજનો જેમ બને તેમ જલદી પોતાના પરિજનોને મળી શકે. તેમને જલદી શોધવામાં આવી શકે. અમારી જવાબદારી હજુ પૂરી થઈ નથી. ઉલ્લેખનીય છે કે બાલાસોરમાં ઘટનાસ્થળે યુદ્ધસ્તરે કામ ચાલી રહ્યું હતું. રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ સતત ઘટનાસ્થળે હાજર રહ્યા. સેંકડો રેલવે કર્મી, રાહત બચાવ દળના જવાનો, ટેક્નિશિયનથી લઈને એન્જિનિયર્સ સુધી દિવસ રાત કરતા રહ્યા.
અકસ્માત બાદ ઘટનાસ્થળ પર જે સ્થિતિ હતી તે ઝડપથી બદલાતી જોવા મળી. પાટા પર વિખરાયેલી બોગીઓ શનિવારે રાતે જ હટાવી લેવાઈ હતી. અકસ્માત બાદ બંને એક્સપ્રેસ ટ્રેન અને માલગાડીના બચેલા ડબ્બા પણ પાટા પરથી હટાવી લેવાયા હતા. ત્યારબાદ રવિવારે દિવસભર ટ્રેકના રિસ્ટોરેશનનું કામ ચાલુ રહ્યું. જેના પરિણામે અકસ્માતના 51 કલાક બાદ પહેલી ટ્રેનનું સંચાલન આ ટ્રેક પર શરૂ કરાયું હતું. ટ્રેન દોડાવીને જોવામાં આવ્યું કે ટ્રેક યોગ્ય રીતે ફિટ છે કે નહીં. ત્યારબાદ રવિવારની મોડી રાતે અપ અને ડાઉન બંને લાઈનો પર રિસ્ટોરેશનનું કામ પૂરું કરી લેવાયું. હવે આ લાઈન અને પ્રભાવિત ટ્રેક પર ટ્રેનો ફરી એકવાર અવરજવર માટે તૈયાર છે.