કાલોલ : ૧૬/ફેબ્રુઆરી/૨૦૨૩
કાલોલ તાલુકા વિસ્તારમાં નર્મદા કેનાલના રોડ પર દેવછોટીયા મંદિર પાસે બાઈક અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક પ્રોઢનું મોત: ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત
કાલોલ તાલુકા વિસ્તારના સમા ગામ નજીકની નર્મદા કેનાલના રોડ પર દેવછોટીયા મંદિર પાસે ગુરુવારે સવારે બાઈક અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક પ્રોઢનું મોત નિપજ્યું હતું જ્યારે સામે એકટીવા પર સવાર એક બાળકી સહિત ચાર વ્યકિતઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત ઘટના અંગે કાલોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલી ફરિયાદની વિગતો અનુસાર ડેસર તાલુકાના નવા કેસરાના મુવાડા (તા. ડેસર, જી.વડોદરા) ગામના છગનસિંહ રામસિંહ પરમાર (ઉ.વ, ૬૯) અને તેમની પત્ની સાથે ગુરુવારે બપોરે તેમની મોટરસાયકલ લઈને ઘેરથી કાલોલ તાલુકાના બરોલા ગામે એક સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગે જવા માટે નીકળ્યા હતા પરંતુ રસ્તામાં સમા ગામથી મેઈન નર્મદા કેનાલના રસ્તે દેવછોટીયા મહારાજના મંદિર પાસેથી પસાર થતા સમયે સામેથી એક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતા એકટીવા સાથે અકસ્માત સર્જાતા છગનસિંહ રામસિંહ પરમાર તેમની બાઈક સહિત રોડ પર ઘસડાઈને રોડ-કેનાલની પાળી સાથે અથડાતા માથાના ભાગે પહોંચેલી ગંભીર ઈજાઓને પગલે ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. તદ્ઉપરાંત તેમની પાછળ બેઠેલા તેમની પત્ની અને સામે એકટીવા પર સવાર દંપતી સાથે સાત આઠ વર્ષની નાની બાળકીને પણ ઈજાઓ પહોંચી હતી. જે ગંભીર અકસ્માત અંગે આસપાસના વાહન ચાલકો અને રાહદારીઓએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરીને દંપતી સહિત ચારેય ઈજાગ્રસ્તોને સારવાર માટે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા જે પૈકી ગંભીર ઇજાગ્રસ્ત બનેલા મૃતકની પત્ની ચંદ્રિકાબેન પરમાર અને અજાણ્યા એકટીવા ચાલકને વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઘટના સ્થળે મોત નિપજતા મૃતકના પરિવારજનોએ ભારે શોક વ્યક્ત કરી અકસ્માત ઘટના અંગે કાલોલ પોલીસને જાણ કરતા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : મયુર પટેલ કાલોલ