હાલમાં હવામાન વિભાગની ચેતવણીના પગલે તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે પણ વાવાઝોડાથી ઓછું નુકસાન થાય તે માટે મંદિરના ચાચર ચોકમાં આવેલી હવન શાળામાં હવન યોજવામાં આવ્યો હતો. બિપરજોયના સંકટ સામે માનવ સહિત સમગ્ર જીવસૃષ્ટિ પરના તમામ જીવોની રક્ષા માટે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી સંચાલિત સંસ્કૃત પાઠશાળા અને પેટા મંદિરોના ભૂદેવો દ્વારા વિશેષ રક્ષા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીની સંસ્કૃત પાઠશાળા, 51 શક્તિપીઠ ગબ્બરના બ્રાહ્મણો તથા પેટા મંદિરના પૂજારીઓએ આ રક્ષા યજ્ઞમાં વિશેષ આહુતિ આપી ગુજરાત પરથી આ સંકટ ટળી જાય તે માટે જગત જનની માં જગદંબાની ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. ત્યારબાદ અંબાજી મંદિરના સુવર્ણ શિખર ઉપર ધ્વજા આરોહણ કરી વિશ્વ કલ્યાણ તથા બિપરજોય વાવાઝોડા સામે ગુજરાત સહિત સમગ્ર દેશની માં અંબા રક્ષા કરે તેવી પ્રાર્થના કરી હતી.