Home આણંદ આણંદના રાજોડપુરામાં ફાયરીંગ કરનાર છએ આરોપીઓના છ દિવસના રિમાન્ડ

આણંદના રાજોડપુરામાં ફાયરીંગ કરનાર છએ આરોપીઓના છ દિવસના રિમાન્ડ

બે દિવસ પહેલા રાત્રે ઘર પાસેથી પસાર થવા બાબતે બાઇક સવાર બે યુવકને રોકી મારમાર્યા બાદ ફાયરીંગ કર્યું હતું

258
0

આણંદ.

આણંદના રાજોડપુરામાં મંગળવાર રાત્રિના સમયે ક્રિકેટ રમીને પરત ફરી રહેલા દરબારના છોકરાઓને રોકી આ રસ્તો તમારો નથી. આ રસ્તેથી તમારે અવર જવર કરવી નહીં તેમ કહીને ભરવાડોના જૂથે ઝઘડો કરીને લાકડીથી મારમાર્યો હતો. બાદમાં બંને જૂથો આમને સામે આવી જતાં ભરવાડોના જૂથે ચાર રાઉન્ડ ફાયરિંગ કરતાં નાસભાગ મચી ગઇ હતી.બાદમાં પોલીસે ગુનો નોંધીને છ ઈસમોની ધરપકડ કરી તેમની પાસેથી પિસ્તોલ, ત્રણ ભરેલા કાર્ટિસ અને બે મેગજીન કબજે લેવામાં આવી હતી. ત્રણ કાર કબ્જે કરી તપાસ કરી રહેલી એસઓજી પોલીસે છએ આરોપીઓને આણંદ સેશન્સ કોર્ટમાં રજૂ કરતાં ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને છ એ આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

આણંદના રાજોડપુરામાં ભાથીજી મંદિરની પાસે રહેતા અમન મહેન્દ્રભાઈ ગોહેલ ડીજે સાઉન્ડનું કામ કરે છે. તેઓ 2જી મે,ના રોજ રાત્રે સાતેક વાગ્યાની આસપાસ તેના મિત્ર ગોહેલ વિજય મેલાભાઈ સાથે ક્રિકેટ રમવા ગયાં હતાં. જ્યાંથી તેઓ બાઇક પર પરત ઘરે જતા હતા, તે સમયે રાજોડપુરા બ્રિજની નીચે ખુલ્લા ખેતરની બાજુમાં રોડ પરથી પાંચથી છ અજાણ્યા ઈસમો નંબર પ્લેટ વગરની ગ્રે કલરની બ્રેજા કાર, બ્લ્યુ કલરની સ્વીફટ કાર લઇને રસ્તામાં ઉભા હતા. આ ઈસમોએ બન્નેને ઉભા રાખી કહ્યું કે,  આ રસ્તો તમારા બાપનો નથી ? આ રસ્તા ઉપરથી તમારે કોઇને આવવા – જવાનું નહીં. તેમ કહી એક ઈસમે કે જેના માથા ઉપર મોટા વાળ અને ચોટલો બાંધેલો હતો. મોટી દાઢી રાખેલી હતી. તેણે અમનને બે લાફા મારી દીધાં હતાં. આ ઉપરાંત સફેદ કલરનો શર્ટ પહેરેલ અને દાઢી રાખેલી તેણે વિજયને લાકડાનો દંડો મારી દીધો હતો.

અમન ગોહેલ વધુમાં જણાવ્યું હતું કે અચાનક આ હુમલાથી અમને તુરંત તેના પિતા અને મિત્ર નિતેશ દિનેશભાઈ ગોહેલ (રહે.રાજોડપુરા)ને ફોન કરી બનાવની વાત કરી, રૂદ્રરાજ ફ્લેટ પાસે જલ્દી આવી જવા જણાવ્યું હતું. જેથી થોડીવાર પછી અમનના પિતા, નિતેશ તથા ઘણા બધા લોકો દોડી આવ્યાં હતાં. જોકે, હુમલાખોરો ઈસમો પણ પાંચથી છ જેટલા ઘરની આગળ હાથમાં દંડો લઇને રોડ પર ટોળા સામે ઉભા રહી ગયાં હતાં. તેઓએ સામેથી અચાનક પથ્થર મારો શરૂ કરી દીધો હતો. જેથી અમનને બચાવવા આવેલા ટોળાએ પણ પથ્થરમારો કરતાં ત્રણથી ચાર વખત ધડાકાનો અવાજ થયો હતો. જેથી ફાયરીંગ થયાનું જણાતાં નાસભાગ મચી ગઈ હતી. આ બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક છ હુમલાખોરોની ધરપકડ કરી હતી. બુધવાર સવારે એફએસએલની મદદથી સ્થળ તપાસ કરતાં એક વપરાયેલ ખાલી કાર્ટિસ મળી હતી અને જે અંગે પકડાયેલા આરોપી મેહુલ ભરવાડની પુછપરછ કરતાં તેણે ફાયરીંગ કર્યાની કબુલાત કરી હતી અને ફાયરીંગ બાદ પિસ્તોલ તેના ઘરમાં દાટી દીધી હોવાનું જણાવ્યું હતું. આથી, પોલીસે ઘરમાં સર્ચ ઓપરેશન કરી બે પિસ્તોલ, બે મેગજીન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આ બનાવ સંદર્ભે મેહુલ ભરવાડ, દાના ભરવાડ, ગગજી, સાગર, પ્રફુલ તથા પ્રદીપની ધરપકડ કરી આગળની પુછપરછ માટે રિમાન્ડ માટે એસઓજી પોલીસે આણંદ સેશન્સ કોર્ટમાં રજૂ કરતાં ગુનાની ગંભીરતા ને ધ્યાને લઈ આણંદ સેશન્સ કોટે છ એ આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here