ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના વાઈસ પ્રેસિડેન્ટ એવા નાથાભાઈ ઓડેદરાએ મહેર સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે જારી કરેલ વીડિયો ક્લિપના કારણે તેમને ખૂનની ધમકી અને અપશબ્દો આપ્યાની ફરિયાદ પોરબંદરના કમલાબાગ પોલીસ સ્થળે નોંધાઇ છે. અગાઉ જે શખ્સ હત્યા સહિતના ગુનામાં સંડોવાયેલો હતો તેના વિશે નાથાભાઈ ઓડેદરાએ બેધડક સ્ટેટમેન્ટ આપતા આ વિવાદ છેડાયો છે અને મામલો પોલીસ ફરિયાદ સુધી પણ પહોંચ્યો છે. બીજી તરફ આ મામલે રબારી સમાજ સમાજે પણ નાથાભાઈ સામે નારાજગી વ્યક્ત કરી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી.
ઓડદરના રમેશ ભીખા છેલાણા અને દાસા ભીખા છેલાણા સામેં ફરિયાદ નોંધાવી
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના વાઈસ પ્રેસિડેન્ટ એવા નાથાભાઈ ભુરાભાઈ ઓડેદરા, મેર, ઉ.વ.૫૯, ધંધો-ખેતી રહે. એરપોર્ટ સામે, ગાયત્રી હાઈડ્સ એપાર્ટમેન્ટ, ફ્લેટ નં.801, પોરબંદર)એ ઓડદરના રમેશ ભીખા છેલાણા અને દાસા ભીખા છેલાણા સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે પોતે મહેર જ્ઞાતીમાં જાગૃતિ અભિયાન ચલાવી રહેલ હોય. દાસા ભીખાએ પોતાને ભુંડી ગાળો બોલી તથા જાન થી મારી નાખવાની ધમકી આપી, અને તે હજુ મારો ઈતીહાસ જોયો નથી. તેમજ મહેર જ્ઞાતીના ઓડેદરા સમાજ વિશે અભદ્ર શબ્દો બોલેલ જેના કારણે મહેર જ્ઞાતીમાં અંદરો અંદર દ્વેશભાવ ઉત્પન થાય તથા મહેર તથા રબારી સમાજ વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય તેમ ઓડીયો કલીપમાં બોલી,ઓડીયો કલીપો મોબાઈલ ફોનના વોટસઅપમાં નાથાભાઇને તથા મિત્ર-મુરૂભાઈ લીલાભાઈ ઓડેદરાને મોકલી ભુંડી ગાળો બોલી, મારી નાખવાની ધમકી આપી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યા બાબતની ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશને નોંધાઇ હતી.
બે જ્ઞાતિઓનું બોલાયું હોવાના મુદ્દે વિવાદ છેડાયો
આ બનાવવામાં બે જ્ઞાતિઓનું બોલાયું હોવાના મુદ્દે વિવાદ છેડાયો છે ત્યારે નાથાભાઈ ઓડેદરાએ કેટલાક બેધડક સ્ટેટમેન્ટ કર્યા છે. તો બીજી તરફ રબારી સમાજે પણ આ બાબતે નાથાભાઈ સામે નારાજગી વ્યક્ત કરી છે અને તેમણે પણ કમલાબાગ પોલીસ સ્ટેશને પોતાની રજૂઆત કરી હતી.આ મામલે ઓડદરના રમેશ ભીખા છેલાણા અને દાસા ભીખા છેલાણાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું ડીવાય એસપી ઋતુ રાબા એ જણાવ્યું હતું.