કાલોલ નગરમાં પુષ્ટિમાર્ગીય શ્રીસુધા સત્સંગ મંડળ અને સ્વ. મંજુલાબેન જગમોહનદાસ શાહ આચાર્ય નિવાસના 17 મો પાટોત્સવ નિમિત્તે 30 ડિસેમ્બર થી તા. 2 જાન્યુઆરી સુધી પુષ્ટિમાર્ગીય 84 બેઠક કથામૃતના સમાપન અવસરે મંગળવારે વૈષ્ણવ સંપ્રદાયના વલ્લભકુળ અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મકુળના સંતોનો સમાગમ આયોજીત કરવામાં આવ્યો હતો.
કાલોલ નગરના ધાર્મિક ઈતિહાસમાં બે મોટા મહિમામંડલ ધરાવતા સંપ્રદાયો વચ્ચે ધાર્મિક એખલસતા દર્શાવતા પ્રથમ અવસરે વૈષ્ણવ સંપ્રદાયની ગોવર્ધનનાથજી હવેલી ખાતેના પ્રયાગરાજ ચોકમાં ચાલી રહેલા 84 બેઠક કથામૃતના પાટોત્સવના સમાપન અવસરે વૈષ્ણવાચાર્ય પૂ પા ગોસ્વામી 108 કુંજેશકુમારજી મહોદય સાથે વડતાલથી ૫.પૂ. 108 લાલજી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા કાછીયાવાડમાં કાછીયા પંચની વાડી ખાતે આયોજીત દિવ્ય શાકોત્સવમાં વૈષ્ણવાચાર્ય પૂ.પા. ગોસ્વામી 108 કુંજેશકુમારજી મહોદય ઉપસ્થિત રહ્યા હતા. આમ બંન્ને મહામંડલોના સંતાનો સમાગમને પગલે બન્ને સંપ્રદાયના ભાવિકો હરખાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે પુષ્ટિમાર્ગીય શ્રીસુધા સત્સંગ મંડળ અને સ્વ. મંજુલાબેન જગમોહનદાસ શાહ આચાર્ય નિવાસના 17 માં પાટોત્સવ નિમિત્તે બુધવારે સાંજે 84 બેઠકની આબેહૂબ પ્રતિકૃતિના અલૌકિક દર્શનનું મોઢ સમાજની વાડીમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ વૈષ્ણવોએ ઉપસ્થિત રહીને દરેક અલૌકીક બેઠકના દર્શનનો લાભ લીધો હતો.




















