Home અમદાવાદ અટલ બ્રિજ પર 80 હજારના ગ્લાસને બચાવવા લાખોની રેલિંગ લગાવાઈ

અટલ બ્રિજ પર 80 હજારના ગ્લાસને બચાવવા લાખોની રેલિંગ લગાવાઈ

224
0

અમદાવાદઃ શહેરની શાન અને આકર્ષણનું કેન્દ્ર ગણાતો એવો અટલ બ્રિજ અત્યારે ચર્ચામાં આવ્યો છે. ગ્લાસ વોક વે ડેમેજ થઈ જતા હવે મુલાકાતીઓ આના પરથી પસાર નહીં થઈ શકે એવો નિર્ણય કરાયો છે. તંત્રએ આ ગ્લાસની આજુબાજુ રેલિંગ કરી દીધી છે. જેથી અહીં કોઈપણ વ્યક્તિ ગ્લાસ પર ઉભા રહીને સેલ્ફી કે વીડિયો પણ નહીં ઉતારી શકે. આ તમામ પગલા કાચ ન તૂટે એના માટે લેવામાં આવ્યા છે. તેવામાં હવે અમદાવાદીઓને જે અટલ બ્રિજ નીચેનો વ્યૂ મળી રહ્યો હતો અને આનંદ થયો હતો એમાં ઘટાડો થઈ શકે છે.

પગ નીચેથી સાબરમતી વહેતી હોવાનો અનુભવ નહીં થાય
નોંધનીય છે કે અટલ બ્રિજના ગ્લાસ વોક વે પર ચાલવાનો રોમાંચ જ કંઈક અલગ હતો. મોટાભાગના મુલાકાતીઓ આ પ્રમાણે વોક કરવાની ઈચ્છા એ અહીં આવતા હતા. સાબરમતી નદીને વહેતી જોવા અને જાણે પગના તળિયેથી પસાર થતી હોય એનો લ્હાવો લેવાની મજા હવે મુલાકાતીઓને નહીં મળે. ગત મહિનામાં અટલ બ્રિજના ગ્લાસ પર પહેલીવાર તિરાડ પડી હોવાની ઘટના સામે આવી હતી. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આને બદલવાની કવાયત હાથ ધરવી પડી હતી. રિપોર્ટ્સ પ્રમાણે એવું જણાવાયું હતું કે લોકોના ધસારો આ બ્રિજ પર વધી ગયો છે. જેના કારણે કાચ પરથી અવાર નવાર લોકો પસાર થઈ ગયા છે. આથી જ આમાં તિરાડો પડી હોઈ શકે છે.

10 દિવસ પહેલા કાચ બદલાયા
નોંધનીય છે કે અગાઉ લગભગ 10 દિવસ પહેલા આ કાચને રિપ્લેસ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ લોકોનો ધસારો સતત વધી રહ્યો હતો. તથા કાચમાં તિરાડો કે સ્ક્રેચ ન પડે તથા સેફટીને ધ્યાનમાં રાખી મોટો નિર્ણય લેવાયો છે. AMCએ આની સુરક્ષા માટે રેલિંગ લગાવી દીધી છે. જેની પાછળનો ખર્ચ અંદાજે 4 લાખ રૂપિયા સુધી રહ્યો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર I.K.Patelએ અમદાવાદ મીરર સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગ્લાસની સુરક્ષા માટે રેલિંગ બનાવી છે. વધુમાં તેમણે કહ્યું કે આ રેલિંગનું સ્ટ્રક્ચર એવું રખાયું છે કે જેનાથી બ્રિજ નીચેથી પસાર થતા વ્યૂ પણ મળે અને ગ્લાસ પણ જળવાઈ રહે.

હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યો
અટલ બ્રિજની લોકપ્રિયતા એટલી વધી ગઈ હતી કે હજારોની સંખ્યામાં લોકો અહીં ઉમટી પડતા હતા. એટલું જ નહીં આના નિર્માણને હજુ 7 મહિના પણ નહીં થયા હોય કે કાંચ પર તિરાડો જોવા મળી હતી. તેવામાં 300 મીટર લાંબો અને 10થી 14 મીટર પહોળો અટલ બ્રિજ લગભગ 3 હજાર વિઝિટર્સ માટે રજાઓના સમયગાળામાં આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે.

મોરબી દુર્ઘટના બાદ તંત્ર સતર્ક
આ બ્રિજ પર તંત્રએ પહેલાથી જ લિમિટેડ લોકોને પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે. એકસાથે ધસારો વધી ન જાય એની પણ કાળજી લેવામાં આવી છે. મોરબી બ્રિજ દુર્ઘટનામાં 134 લોકોના મોત થયા હતા. જ્યારે 180થી વધુને ઈજા પહોંચી હતી. આ ગંભીર દુર્ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા. જેથી હવે અટલ બ્રિજ પર પહેલાથી જ લિમિટમાં લોકોને એન્ટ્રી અપાઈ રહી છે.

મુલાકાતીઓએ કહ્યું રેલિંગ ખોટી લગાવી
અમદાવાદ મિરર સાથે વાતચીતમાં કેટલાક મુલાકાતીઓએ જણાવ્યું કે અટલ બ્રિજ પર પહેલા મજા આવતી હતી. હવે આ બ્રિજ પર મજા નથી આવી રહી. અમે ચાલીને જતા અને ગ્લાસ પર ઉભા રહેતા હતા. અગાઉ જ્યારે આવ્યા હતા ત્યારે પણ અહીં સેલ્ફી લીધી હતી. હવે માત્ર શોભાના ગાંઠિયા સમાન આ ગ્લાસ રહી ગયો છે. અન્ય એક મુલાકાતીએ કહ્યું કે રેલિંગ ગ્લાસની ફરતે નહોતી લગાવવા જેવી. રેલિંગ ગ્લાસની ઉપર લગાવવા જેવી હતી. જેથી કરીને આનો સુંદર નજારો જોવા મળે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here