આણંદ જનરલ હોસ્પિટલ ખાતે કોવિડ-19 સામે સતર્કતાના ભાગરૂપે મોકડ્રીલ યોજાઈ ,જિલ્લામાં હાલ કોરોના પોઝીટીવ 23 દર્દી સારવાર હેઠળ . આણંદ જિલ્લામાં વૈશ્વિક મહામારી કોવિડ-19 ના કેસોમાં થતાં વધારાને ધ્યાને લઈ. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કોવિડ-19ના વધતા કેસો સામે સતર્કતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આણંદ જનરલ હોસ્પિટલ ખાતે કોવીડ-19 સામેના અગત્યના પગલાઓ લેવા તેમજ જરૂરી સતર્કતા જાળવી રાખવાના આયોજન સંબંધી મોકડ્રીલ યોજાઈ હતી.
આ મોકડ્રીલ અંતર્ગત આણંદ જનરલ હોસ્પિટલ ખાતે કોવિડ-19 ની સારવાર માટે દવાઓ, ઓક્સિજન બેડ, વેંટીલેટર, એમ્બ્યુલન્સ અને પૂરતા પ્રમાણમાં સ્ટાફની વ્યવસ્થા જેવી તમામ જરૂરી બાબતોનું નિરિક્ષણ કરવામાં આવ્યુ હતુ. તે સાથે જ જિલ્લાની વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પણ આગામી દિવસોમાં કોરોનાની મહામારીને પહોંચી વળવા આગોતરી તૈયારીના ભાગરૂપે મોકડ્રીલ યોજવામાં આવી હતી.
આ મોકડ્રીલ સમયે આણંદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.બી. કાપડીયા, આણંદ જનરલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. અમર પંડ્યા, આર.એમ.ઓ. ડો.દલવાડી, ડો.પંચાલ સહિત જનરલ હોસ્પિટલની આરોગ્ય ટીમ ઉપસ્થિત રહયા હતા. મહત્વનું છે કે આણંદમાં હાલ 23 એક્ટિવ કેસ સારવાર હેઠળ છે. જેમાં આણંદમાં 7,આંકલાવમાં 1,બોરસદમાં 2,પેટલાદમાં 12 અને તારાપુરમાં 1દર્દીનો સમાવેશ થાય છે. જેમાંથી ત્રણ દર્દીઓ હોસ્પિટલમાં જ્યારે અન્ય 20 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.