પાટણ: ૧૨ જાન્યુઆરી
પાટણ શહેરમાં ધંધો વેપાર કરતા નાના મોટા વેપારીઓ કે જેઓએ કોરોના રસી ના પ્રથમ કે બીજો ડોઝ ન લીધો હોય તેવા વેપારીઓનું સર્વે કરવા માટે પ્રાંત અધિકારી પાટણ એ નગરપાલિકાને સૂચનાઓ આપી છે જે અનુસંધાને આજે નગરપાલિકાની ચાર ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં દુકાને દુકાને ફરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે રોજે રોજ પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેને લઇને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે તો આ સંક્રમણ ને અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારના પગલા ભરવામાં આવી રહ્યા છે હાલમાં શહેર સહિત જિલ્લામાં ૩૦૦ થી વધુ વેકસીન સેન્ટરો પર રસીકરણ આપવાની કામગીરી ચાલી રહી છે તો જિલ્લાના તાલુકા મથકો ઉપર ફલૂ ક્લિનિક તેમજ ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે.
નગરજનોની સુરક્ષા માટે લોકો વધુમાં વધુ રસીકરણ કરાવે તે માટે પ્રાંત અધિકારી દ્વારા રસીકરણ ના કરાવેલું હોય તેવા લોકોને પકડીને ઝડપથી રસીકરણ કરાવવા માટે નગરપાલિકાને કડક સુચના આપવામાં આવી હતી. જેથી આજે બુધવારે નગરપાલિકાના ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં કર્મચારીઓની અલગ અલગ ચાર ટીમો બનાવીને હાઈવે વિસ્તાર તેમજ શહેરના બજારમાં વેપારીઓએ રસીકરણ કર્યું છે કે નહીં તે માટે ચકાસણી કરવામાં આવી રહી છે. તેમજ ચકાસણી દરમિયાન જે લોકો રસીકરણ વગરના પકડાય તેમને તાત્કાલિક રસીકરણ કરવા માટે કડક સૂચના આપવામાં આવી રહી છે.