બિપરજોય વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાત તંત્રની ચિંતામાં વધારો થઇ રહ્યો છે પરંતુ તંત્ર સજ્જ્ છે. ભારતીય હવામાન વિભાગએ તેના તાજેતરના અપડેટમાં જણાવ્યું છે કે, વાવાઝોડું લગભગ દર કલાકે 5 કિલોમીટર આગળ વધી રહ્યું છે. તે જખૌ બંદરથી પશ્ચિમ – દક્ષિણ પશ્ચિમથી 210 કિ.મી.ના અંતરે રહી ગયું છે. 15 જૂનની સાંજે તે 145ની મહત્તમ ગતિ સાથે ગુજરાત સાથે અથડાઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતા છે. ત્યારે આજે 15મી જૂનના રોજ આ વાવાઝોડાને કારણે રાજ્યના ત્રણ જિલ્લામાં અતિભારે વરસાદ ખાબકવાનો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે જ્યારે આ વાવાઝોડું લેન્ડફોલ થશે ત્યારે કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ ત્રણ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી, રાજકોટ, જુનાગઢ, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેના કારણે અહીં ભારે વરસાદ થવાની આગાહી છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, સાબરકાંઠા, મહેસાણામાં પણ યલો એલર્ટ આપવામાં આવી છે. જેના કારણે અહીં પણ અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મઘ્ય અને દક્ષિણ ગુજરાતના બાકી રહેલા વિસ્તારોમાં આજે વરસાદ થવાની શક્યતા નથી. આ વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, બિપોરજોય વાવાઝોડાનું આજ સાંજ સુધીમાં લેન્ડફોલ થશે તેમજ પવનની ગતી ખુબ જ વધુ રહેશે.ઉપરાંત અનેક ભાગોમાં ખૂબ જ તે જ ગતિથી પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. તેમણે એમ પણ જણાવ્યુ છે કે, આજે પોરબંદર અને દ્વારકામાં ભારે પવન ફૂંકાશે. પવન 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.