Home પ્રસાશન ચુડા તાલુકાના કોરડા ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે પાઇપલાઇનના...

ચુડા તાલુકાના કોરડા ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત કરાયું

121
0
સુરેન્દ્રનગર : 13 ફેબ્રુઆરી

ચુડા તાલુકાના કોરડા ખાતે ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ચોકડી સબ હેડવર્કસથી કોરડા ગામ સુધી રૂપિયા ૧.૮૮ કરોડના ખર્ચે ડીઆઇ પાઇપલાઇનના કામનું વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા માટે આજે રૂપિયા ૧.૮૮ કરોડના ખર્ચે પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત કરાયું છે. હવે આ ગામના દરેક લોકોને ઘરે ઘરે શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે આ યોજના મદદરૂપ બનશે. આ વિસ્તારના ગામડાઓમાં પીવાનું નિયમિત પાણી મળી રહે તે માટે પાણી પુરવઠાની યોજનાઓ અંતર્ગત વિવિધ કામો કરવામાં આવી રહ્યા છે.

વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા
વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના દરેક ગામડાને નલ સે જલ યોજના અંતર્ગત આવરીને દરેકના ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવશે તેમજ ખેડૂતોને રાત્રીના ઉજાગરામાંથી મુક્તિ અપાવવા કિસાન સૂર્યોદય યોજના અમલી બનાવી છે. આ યોજનાના માધ્યમથી હવે ખેડૂતોને દિવસે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો તેમ પણ ઉમેર્યું હતું.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા અગ્રણી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, નર્મદા યોજનાનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે. જિલ્લાના છ તાલુકાને આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે.
આ તકે લીંબડી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર એસ.જી. દેસાઈએ પાણી પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરાયેલ કામોની વિગતો આપી હતી.
આ પ્રસંગે રાજ્ય સભાના પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, પ્રાંત અધિકારીશ્રી એચ.એમ સોલંકી, ચુડા મામલતદાર, અગ્રણીઓ સર્વ રાજભા ઝાલા, ધીરુભાઈ સિંધવ અને અલ્પેશભાઈ શેખ તેમજ કોરડા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

-Trending Gujarat

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here