કાલોલ પોલીસ સહિત ઉચ્ચ તંત્રને રજૂઆત કરી ઝીણવટભરી તપાસ કરવાની લોકમાંગ
કાલોલ મામલતદાર કચેરી ખાતે આઉટસોર્સ કર્મચારી તરીકે ફરજ બજાવતા ૩૫ વર્ષિય તુષારભાઇ જોષી ગત તા.૦૪/૦૧/૨૦૨૫ ના રોજ મામલતદાર સાથે ડ્રાઈવર કિશન અને કલાર્ક ઉત્તમસિંહ સહિત ચારેય મામલતદારની ગાડીમાં પંચમહોત્સવ પાવાગઢ ખાતે વાયા અલવા ફતેપુરી ગામના ટૂંકા રસ્તે નિકળ્યા ત્યારે અલવા ફતેપુરીના રસ્તામાં પેશાબ કરતા તુષાર જોષીને કોઈ ટ્રેકટર ચાલકે ગફલતભરી રીતે ટ્રેક્ટર હંકારી લાવી ટક્કર મારીને ઈજાઓ પહોંચાડી અંતે સારવાર મળતા પહેલા તુષાર જોષીનું મોત નિપજ્યું હોવાના કિસ્સામાં મૃતક યુવકના પિતાએ નોંધાવેલી ફરિયાદ અંગે મામલતદાર પોતે ફરિયાદી કેમ ના બન્યા ?

જ્યારે સરકારી ગાડીને ટ્રેક્ટર ચાલકે નુકશાન પહોંચાડવા અંગે મામલતદારે અલગ ફરિયાદ કેમ નોંધાવી તેમજ બંને ફરીયાદ વચ્ચેનો સમયગાળો અને ફરીયાદની હકીકતો જોતાં અમુક અંશે વિસંગતતાઓ ભરેલી ધારણાઓ અને લોકચર્ચા મુજબ સંભવિત મર્ડર કેસને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો કરી શુક્રવારે તાલુકાના નિરવ પટેલે કાલોલ પીઆઇને આવેદન આપી અકસ્માત ઘટના અંગે ઝીણવટભરી તપાસ કરવાની લોકમાંગ કરી હતી.




















