આણંદ, શનિવાર: આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સંકલન સમિતિની બેઠક મહાનગરપાલિકા કમિશનર મિલિંદ બાપના ની અધ્યક્ષતામાં મહાનગરપાલિકા સભાખંડમાં યોજાઈ હતી.
બેઠકની શરૂઆતમાં કમિશનર મિલિંદ બાપનાએ આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ અને સંસદ સભ્ય મિતેશ પટેલને પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યા.
કમિશનરે સંકલન સમિતિના અધિકારીઓને સહયોગ અને સંવાદથી જનહિતનાં કાર્યો ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કર્યો. સાથે જ, ધારાસભ્ય અને સંસદ સભ્ય દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો, સૂચનો અને રજૂઆતોનો તાત્કાલિક પ્રતિસાદ આપવા અને સકારાત્મક ઉકેલ લાવવા નિર્દેશ આપ્યા.
ગણેશ ચોકડી પરના બ્રિજ અને સર્વિસ રોડ પરથી એમ.જી.વી.સી.એલ.ના ડીપીને ખસેડવા તથા અડચણરૂપ ઝાડો દૂર કરવા સંબંધિત કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી.
કમિશનરે જણાવ્યું કે આણંદ મહાનગરપાલિકામાં કરમસદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના નામે કચ્છ અને વડનગર જેવું મ્યુઝિયમ બનાવવામાં આવશે. વધુમાં, મહાનગરપાલિકા વિસ્તારમાં જો કોઈ દબાણ જેવી સ્થિતિ જણાય, તો તે તુરંત દૂર કરવા જણાવ્યું.
ફાયર સેવાની સત્તા મહાનગરપાલિકાને મળે તે માટેની પ્રક્રિયા ચાલી રહી છે તેમ જણાવી, ધારાસભ્ય અને સંસદ સભ્યના સૂચનોને સકારાત્મક રીતે સ્વીકારવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી.
બેઠકમાં સંસદ સભ્ય મિતેશ પટેલ અને ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા જનહિતાર્થે ૧૪ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં શહેરમાં નવા ઓવરબ્રિજ, આધુનિક કન્વેન્શન સેન્ટર, ટાઉનહોલ, અંગ્રેજી માધ્યમની શાળા, ઓક્સિજન પાર્ક, સ્વિમિંગ પૂલ અને સરદાર પટેલના વારસાને સમર્પિત સંગ્રહાલય જેવી યોજનાઓનો સમાવેશ થાય છે.
બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ.કે. ગરવાલ, નિલાક્ષ મકવાણા, નાયબ કાર્યપાલક ઇજનેર જીગર પટેલ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.