ગોધરા: 18 સપ્ટેમ્બર
મૃત્યુ પામનારા દરેક વ્યક્તિના પરિવારને સરકારશ્રી તરફથી ૦૫ લાખની સહાય કરાઈ, કંપની પણ ચુકવશે વળતર
સ્વ.નાયક પરિવારને મૃત્યુ સહાયની સાથે મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર પરિવારના દુઃખમાં સહભાગી થયાં ત્યારે સર્જાયા લાગણીસભર દૃશ્યો
અમદાવાદ ખાતે બિલ્ડીંગના બાંધકામ વખતે પંચમહાલ જિલ્લાના પાંચ શ્રમિકોના થયા હતા મૃત્યુ.
આજ રોજ રાજ્યમંત્રી શ્રીમતિ નીમિષાબેન સુથાર (રાજયકક્ષા આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગ) દ્વારા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના છેવાડાના વાવકુલ્લી અને શામળકુવા ગામે મૃતક પરિવારના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. અમદાવાદ ખાતે બિલ્ડીંગના બાંધકામ વખતે જિલ્લાના પાંચ શ્રમિકોના મૃત્યુ થયા હતા ત્યારે મંત્રીશ્રીએ તેમના નિવાસસ્થાને પરિવારને મળીને સાંત્વના આપી હતી.તેમણે આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા નાયક પરિવારના સભ્યોને મળીને સાંત્વના આપી હતી તથા મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સમયે મૃતક પરિવારની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા માંડ્યો હતો ત્યારે ભાવુક દ્ર્શ્યો સર્જાયા હતા. મંત્રીશ્રીએ પરિવારના સદસ્યોને ગળે લગાવી હૂંફ અર્પણ કરી હતી અને કહ્યું હતું કે સરકારશ્રી અને વહીવટીતંત્ર તરફથી તમામ પ્રકારની મદદ કરવામાં આવશે.
આ સાથે તેમણે પરિવાર અને ગ્રામજનો સાથે વાત કરતા જણાવ્યું હતું કે આજે સરકારશ્રી આપની સાથે છે, ઉપસ્થિતોને જણાવ્યું કે સરકારશ્રીની તમામ યોજનાકીય લાભો લેવામાં આવે, આયુષ્યમાન કાર્ડ અને સરકારી હોસ્પિટલોનો લાભ લેવામાં આવે. આ સાથે તેમણે ઉપસ્થિત અધિકારીગણોને તમામ પ્રકારના મદદ માટે સુચારુ સલાહ સૂચનો કર્યા હતા. તેમણે સ્થાનિક રોજગારી અને મધમાખી ઉછેર કેન્દ્ર સ્થાપવા અંગે પણ લોકોને માહિતગાર કર્યા હતા.
અહી નોંધનીય છે કે અમદાવાદ ખાતે બિલ્ડિંગના બાંધકામ વખતે જિલ્લાના ઘોઘંબા તાલુકાના વાવકુલ્લી અને શામળકુવા ગામના પાંચ શ્રમિકોના મૃત્યુ થયા હતા.જેમાં સરકારશ્રી તરફથી તાત્કાલિક પાંચ લાખની સહાય કરાઈ છે તથા કંપની દ્વારા પણ વળતર ચૂકવવામાં આવશે તેવું જણાવાયું છે.
આ સ્થળે જિલ્લા વહીવટી તંત્ર, ઘોઘંબા મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત તમામે મુશ્કેલ સમયે પરિવારની પડખે ઊભા રહીને પરિવારને સહાય સહિત સાંત્વના આપી હતી.