પાટણ : 20 ઓગસ્ટ
પાટણમાં જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ ઉજવણી કર્યા બાદ બીજા દિવસે વિવિધ મંદિરોમાં નંદ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભગવાન કૃષ્ણને પરિણામ ઝુલાવવામાં આવ્યા હતા અને ભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી .
પાટણ શહેરમાં ઠેર – ઠેર જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી . કાળાવાસ માં જન્મેલ કૃષ્ણને વાસુદેવ છાબડા માં લઇ મુશળધાર વરસાદ વચ્ચે યમુના નદી પાર કરી ગોકુળમાં નંદબાબાના ઘરે સહી સલામત પહોંચાડ્યા હતા ત્યારથી શ્રાવણ વદ નોમ અને પારણા એટલે કે નાંદોત્સવ તરીકે ઉજવવામાં આવે છે . જેને લઈને મંગળવારે પાટણ શહેરના વૈષ્ણવ મંદિરો અને કૃષ્ણ મંદિરોમાં નંદોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી . મંદિરોમાં ભગવાનને પારણામાં ઝૂલાવી છપ્પનભોગ ધરાવવામાં આવ્યા હતા ત્યારે ભક્તોએ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ના નાદ સાથે વાતાવરણ ગુંજવી મુકયું હતું . વિવિધ ઘરોમાં પણ લોકોએ પરિવાર સાથે નંદ ઉત્સવ ની ઉંજવણી કરી હતી .
શહેરના સાલવિવાડા વિસ્તારમાં આવેલ લીંબચ માતાના મંદિર ખાતે નંદોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રદ્ધાળુ ભક્તોએ ભગવાનના બાળ સ્વરૂપને લાડ લડાવવા નો ભાવ પ્રગટ કર્યો હતો અને રાધાકૃષ્ણના અને ગોપીઓના વેશમાં સજ્જ થઈ ગરબે રમતા સમગ્ર વાતાવરણ નંદોત્સવ ના રંગે રંગાઇ ગયું હતું . આમ પાટણમાં જન્માષ્ટમી બાદ નંદોત્સવની પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ હતી .