પાટણ : 30 જુલાઈ
ગ્રામ્ય વિસ્તારની ગરીબ મહિલાઓને સંગઠિત કરી તેઓ આર્થિક, સામાજીક, કૌટુંબિક, શૈક્ષણિક તેમજ આરોગ્ય વિષયક ક્ષેત્રમાં વિકાસ તરફ આગળ વધે તે હેતુને ધ્યાનમાં રાખી સરકારશ્રી ધ્વારા અનેકવિધ યોજનાઓનું અમલીકરણ થઇ રહ્યુ છે, દિનદયાળ અંત્યોદય યોજનાના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત અનેક મહિલાઓ લાભ લઈને આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે. આ યોજના હેઠળ સ્વસહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જિલ્લા ગ્રામવિકાસ એજન્સી પાટણના સહયોગથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કન્વેશન હોલ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે માન.રાજ્ય.ક.મંત્રી જગદીશ વિશ્વકર્મા (કુટીર ઉદ્યોગ સહકાર મીઠા ઉદ્યોગ) ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ તાલુકાના કુલ 05 સ્વસહાય જૂથોને 6 લાખ 50 હજારરૂ. ની લોન આપવામાં આવી હતી. કુલ 05 સ્વસહાય જૂથોને કેશ ક્રેડીટ લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જેમાં પાટણ જિલ્લાનાં રાધનપુર, ચાણસ્મા, સિદ્ધપુર, સમી, શંખેશ્વર તાલુકાનો સમાવેશ થાય છે.
કાર્યક્રમના મુખ્ય મહેમાન એવાં કુટીર ઉદ્યોગ, સહકાર મીઠા ઉદ્યોગ વિભાગના માનનીય મંત્રી જગદીશ વિશ્વકર્માએ લાભાર્થીઓની સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેઓને વિવિધ યોજનાઓ અંતર્ગત મળેલા લાભો વિશે સીધી વાતચીત કરી હતી. મંત્રી સ્ટેજ પરથી નીચે ઉતરીને લોકોની વચ્ચે ગયા હતા અને ખુબ આત્મીયતા સાથે સૌની સાથે વાતચીત કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થીઓ મંત્રીના આ વ્યવહારથી ખુબ ખુશ થયા હતા અને જાણે પોતાના ઘરના કોઈ સ્વજનની સાથે ચર્ચા કરતા હોય એ રીતે લાભાર્થીઓએ મંત્રીની સાથે ચર્ચા કરી હતી. સંવાદ બાદ મંત્રી તેમજ વિવિધ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યુ હતુ.
રાજયકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ સ્વસહાય જૂથોની મહિલાઓ સાથે સીધો સંવાદ કરતાં મહિલાઓને રોજગારી કેમ મળે છે સરકાર તરફથી જે યોજનાઓનો લાભ પુરતો મળે છે કે કેમ તેમજ એન.આર.એલ.એમ યોજના અંતર્ગત સ્વસહાય જૂથોને મળતાં આર્થિક લાભો થકી તેમનાં જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું છે. તેની તલસ્પર્શી માહિતી લાભાર્થીઓ પાસેથી મેળવી હતી. કાર્યક્રમમાં મંત્રીનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. તેઓએ ભાષણ ન કરી લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.
કાર્યક્રમ બાદ કુટીર ઉદ્યોગ, સહકાર મીઠા ઉદ્યોગ વિભાગના માનનીય મંત્રી જગદીશ વિશ્વકર્માએ પાટણના પટોળા હાઉસની મુલાકાત લીધી હતી. પટોળા હાઉસની મુલાકાત લેતા મંત્રીશ્રી જણાવે છે કે વિશ્વમાં આવી કલા કોઈ દેશ પાસે નથી એ કલા ભારતના ગુજરાતના પાટણ પાસે છે. દેશ-વિદેશથી લોકો અહી મુલાકાતે આવે છે. આજે પટોળા હાઉસની મુલાકાત લઈને આનંદ થયો.