Home છોટાઉદેપુર છોટાઉદેપુર ખાતે સરકારી જિલ્લા પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું

છોટાઉદેપુર ખાતે સરકારી જિલ્લા પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું

144
0

છોટાઉદપુર : 22 માર્ચ


છોટાઉદપુર જિલ્લો રાજયમાં નંબર વન બને એ માટે આપના સહયોગથી છોટાઉદેપુર જિલ્લાને રાજયના અન્ય જિલ્લાની જેમ અગ્રીમ હરોળમાં લઇ જવાની નેમ સાથે કામ કરવામાં આવી રહ્યું છે એમ છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે કલબ રોડ પર આવેલા યાત્રી ભવનમાં શરૂ કરવામાં આવેલી સરકારી જિલ્લા પુસ્તકાલયના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત મેદનીને સંબોધતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જીલ્લામાં નવી મેડિકલ કોલેજ, આંબેડકર ભવન તેમજ વનાર ખાતે જી.આઇ.ડી.સી બનાવવામાં આવશે. સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય એ માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપણા જિલ્લાના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ છોટાઉદેપુર ખાતે જિલ્લા લાયબ્રેરી બને એ માટે રજૂઆત મળી હતી જેની ફળશ્રુતિ સ્વરૂપે લાયબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે. લાયબ્રેરીનું અદ્યતન મકાન બને એ માટે સાડાચાર કરોડ ઉપરાંત રકમ મંજૂર કરવામાં આવી હતી.
ઉપસ્થિત વિદ્યાર્થીઓને શીખ આપતા તેમણે જણાવ્યું હતું કે, એકવીસમી સદી જ્ઞાનની સદી છે અને ભારતમાં તો આ જ્ઞાનની પરંપરા સદીઓ પુરાણી છે. તેમણે જણાવ્યું હતું કે, અમારૂં કોઇ સાંભળતું નથી, અમને તક મળતી નથી એવા રોદણા રોવાનું છોડી સ્વર્ણિમ ભાવિના સપના સજાવી, સપના સાકાર કરવા માટે પરિશ્રમ કરવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે સારા સારા મોટિવેશનલ પુરસ્તકો વાંચવા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે લાયબ્રેરીનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
માજી ધારાસભ્ય શંકરભાઇ રાઠવાએ પણ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, પુસ્તક જેવો ઉત્તમ મિત્ર બીજો કોઇ નથી. પુસ્તક કયારેય સાથ છોડતું નથી એમ કહી તેમણે છોટાઉદેપુર જિલ્લાની મળેલી ભવ્ય લાયબ્રેરીની ભેટનો લાભ લઇ ભાવિના ઘડતર કરવા અનુરોધ કર્યો હતો.

ધારાસભ્ય અને અન્ય મહાનુભાવોએ આ પ્રસંગે યોજાયેલ પુસ્તક પ્રદર્શનને પણ ખુલ્લું મુકયું હતું.
ગ્રંથાલય નિયામક ડૉ. પી.કે.ગોસ્વામીએ સ્વાગત પ્રચન કરતા જણાવ્યું હતું કે, રાજયમાં ૨૯૯ સરકારી પુસ્તકાલયો અને ચાર હજાર ઉપરાંત અનુદાનિત પુસ્તકાલયો આવેલી છે એમ કહી તેમણે લાયબ્રેરીનો ઉપયોગ કરી જીવન ઘડતર કરવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમની આભારવિધિ અમદાવાદ ગ્રંથાલયના મદદનીશ ગ્રંથાલય નિયામક, પરમારે આટોપી હતી. કાર્યક્રમમાં મામલતદાર ભાભોર, રાજય ગ્રંથપાલ, મધ્યવર્તી પુસ્તકાલય વડોદરા જે.કે.ચૌધરી, ઇન્ચાર્જ ગ્રંથપાલ ભાવેશભાઇ, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ રાઠવા, અન્ય અધિકારી, પદાધિકારી, વિદ્યાર્થીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here