રાજ્યમાં હાલમાં કોરોના કેસમાં વધારો થઇ રહેલ છે જેથી સરકાર દ્ધારા 15 વર્ષથી 18 વર્ષના તમામ બાળકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આગામી 3 જાન્યુઆરી, 2022થી આપવામાં આવશે.
પંચમહાલ જીલ્લામાં કુલ ૧,૦૯,૭૫૯ બાળકોને રસી આપવામાં આવશે.
જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિનાક્ષી ચૌહાણ દ્વારા ૧૫ વર્ષથી ૧૮ વર્ષનાં બાળકોને સરકારના માર્ગદર્શન પ્રમાણે રસી મૂકાવી કોરોના સામે સુરક્ષિત કરવા જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે જે માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા હોય અને જેમની ઉમર ૧૫ વર્ષ થઇ ગયેલ હોય તેવા બાળકો પોતાની માધ્યમિક શાળામાં અને ૧૫ થી ૧૮ વર્ષના શાળાએ ના જતા બાળકોને નજીકની માધ્યમિક શાળામાં લઇ જઈ વાલીઓ તેમના બાળકોને રસીનો ડોઝ અપાવી શકે છે. તા. ૦૧ જાન્યુઆરી, 2022થી લાભાર્થીઓ પોતાની જાતે રજીસ્ટ્રેશન CoWIN પર કરી શકશે.
વેક્સીનેશન માટે ઓનલાઈનની સાથે સ્થળ પર રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી
લાભાર્થીઓની કોવિડ વેકસીનેશન સ્થળ પર પણ રજીસ્ટ્રેશન, વેરિફિકેશન અને વેકસીનેશનની એન્ટ્રી થઈ શકશે. લાભાર્થીઓના વેરિફિકેશન માટે સૌપ્રથમ ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ૦૯ આધાર પુરાવા પૈકીના ફોટો આઈ. ડી. કાર્ડનો ઉપયોગ કરી શકાશે. જો તે ના ઉપલબ્ધ હોય તો શાળા દ્વારા આપવામાં આવેલ સ્ટુડન્ટ ફોટો આઈ. ડી કાર્ડનો ઉપયોગ કરી શકાશે. ૧૫ થી ૧૮ વર્ષની ઉંમરના કિશોરોને રસીનો પ્રથમ ડોઝ આપવા માટે રાજય સરકારની સુચના અને માર્ગદર્શન પ્રમાણે પંચમહાલ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.