જુનાગઢ : ૬ જાન્યુઆરી
તા. 26.05.2019 ના રોજ આરોપી ભુપતભાઈ ભીખાભાઇ રાઠોડ વિરુદ્ધ મરણજનાર બીપીનભાઈ રાઠોડ દ્વારા ઉમરાળા ગામની સીમમાં જસાભાઈ ગોરના ખેતરની વાડ કાપવા માટે ઉઘડી રાખેલ, જે બાબતે મનદુઃખ બોલાચાલી થતા, આરોપી ભૂપતભાઈએ બીપીનભાઈને કુહાડાનો એક ઘા ગરદન ઉપર મારી દેતા, ઇજા કરી, મૃત્યુ થતા, ફરિયાદી કાળુભાઇ બીજલભાઈ રાઠોડ દ્વારા બીલખા પોલીસ સ્ટેશન ખાતે આરોપી ભુપતભાઈ ભીખાભાઇ રાઠોડ વિરુદ્ધ મરણજનાર બીપીનભાઈ રાઠોડની હત્યા કરવા બાબતે દાખલ કરાવેલ હતી. બીલખા પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુન્હો નોંધાતા, આ ગુન્હાની તપાસ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બીલખા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઇ વિરેન્દ્રસિંહ સોલંકી દ્વારા હાથ ધરી, ગણતરીના કલાકોમાં આરોપી ભુપતભાઈ ભીખાભાઇ રાઠોડ ઉવ. 58 રહે. બીલખા જી. જૂનાગઢની ધરપકડ કરી, કાર્યવાહી હાથ ધરી, પુરાવાઓ એકત્રિત કરી, નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ હતું.
બીલખા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઇ વિરેન્દ્રસિંહ સોલંકી દ્વારા ઝીણવટભરી તપાસના અંતે કરવામાં આવેલ ચાર્જશીટ આધારે જૂનાગઢ કોર્ટમાં નામદાર ડિસ્ટ્રીકટ ન્યાયાધીશ રિઝવાના બુખારીની કોર્ટમાં કેસ ચાલી જતા, સરકારી વકીલ જયકીશન દેવાણીની ધારદાર દલીલો અને પુરાવાઓ આધારે આરોપી ભુપતભાઈ ભીખાભાઇ રાઠોડ ઉવ. 58 રહે. બીલખા જી. જૂનાગઢને આજીવન કેદની સજા ફટકારવામાં આવેલ છે.